મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના ચાંદખેડામાં રહેતો કુલદીપ યાદવ 1994માં પાકિસ્તાનમાં ગેરકાયદે વસવાટ કરતા પકડાઈ ગયો હતો. પાકિસ્તાનનો દાવો છે કે તે પાકિસ્તાનમાં જાસુસી કરવા માટે આવ્યો હતો. અચાનક ગુમ થઈ ગયેલા કુલદીપનો પત્ર પાકિસ્તાન જેલમાંથી આવ્યો ત્યારે પરિવારને ખબર પડી કે કે પાકિસ્તાનની જેલમાં છે. 1994થી પાકિસ્તાનની જેલમાં જાસુસીના આરોપસર સજા કાપી રહેલા કુલદીપને ભારત પરત લાવવા માટે તેના પરિવારે ભાજપ કોંગ્રેસના પગથીયા ઘસી નાખ્યા પણ કોઈ પણ સરકારે તે દિશામાં કોઈ નક્કી કાર્યવાહી કરી નહીં, તેના કારણે કુલદીપને બહેન રેખા યાદવે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી દાદ માગી હતી.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટીશ એમ આર શાહે આ મામલે ભારત સરકારને નોટિસ પાઠવી તેમને સાંભળ્યા હતા. રેખાની રજૂઆત હતી કે તેનો ભાઈ કુલદીપ 27 વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે, આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં ભારત સરકારે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઈકોર્ટે કુલદીપને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઈએ અને પરિવારને વળતર ચુકવવુ જોઈએ. હાઈકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ આજે ચુકાદો આપ્યો હતો કે કુલદીપની બહેન વળતર પેટે ભારત સરકારે નોકરી આપવી જોઈએ. આમ હાઈકોર્ટના આ પ્રકારના ચુકાદાને કારણે રેખાને નોકરી તો મળશે પણ કુલદીપને ભારત લાવવાની પ્રક્રિયા ઉપર ફરી એક વખત બ્રેક લાગી છે.