મેરાન્યૂઝ.રાજકોટ: જીએસટીનો ઉતાવળે અમલ કરાયા પછી પાછલા અઢી માસથી અપાર ટેકનિકલ ખામીઓ સર્જાઇ રહી છે. વેપારી અને ઉદ્યોગકાર વર્ગ એ કારણે પરેશાન થઇ જતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જીએસટીનું પોર્ટલ બરાબર ચાલે નહીં અને ટેકનિકલ ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી જીએસટી નહીં ભરવાનો આકરો નિર્ણય રાજકોટ ચેમ્બરની આગેવાની હેઠળ રચાયેલી જીએસટી સંઘર્ષ સમિતિએ લીધો છે. ટેક્સ નહીં ભરીને અસહકારના આ આંદોલનનો આરંભ સૌરાષ્ટ્રમાંથી થયો છે.
જુલાઇથી જીએસટી લાગુ થઇ ચૂક્યો છે. જીએસટી ભરવામાં આરંભથી જ સમસ્યાઓ છે. સમય જતા તે દૂર થશે એવી અટકળો હતી પણ દિવસે દિવસે મુશ્કેલીઓ વધી રહી છે. હવે તો જીએસટીના રિટર્ન અને વેરો ભરવામાં વધુને વધુ તકલીફ પડી રહી છે. વેપારીઓ ધંધો છોડીને રિટર્ન ભરવામાંથી નવરાં પડતા નથી ત્યારે રોષ રોજબરોજ વ્યાપક બનતો જાય છે.
રાજકોટ ચેમ્બરના નેજા હેઠળ જીએસટી સંધર્ષ સમિતિ ગયા અઠવાડિયામાં બનાવવામાં આવી છે. ચેમ્બરના પ્રમુખ શિવલાલભાઇ બારસીયાએ કહ્યું કે, જીએસટી પોર્ટલમાં સુધારો ન થાય ત્યાં સુધી રિટર્ન અને ટેક્સ ન ભરવાનો નિર્ણય આજથી જ અમલામાં આવે તે રીતે અમે કર્યો છે. સંઘર્ષ સમિતિ 22 કારોબારી સભ્યોની બનેલી છે. રાજકોટ ચેમ્બર સાથે 100 જેટલા વેપારી સંગઠનો જોડાયેલા છે તમામ સંગઠનોને અમે અપીલ કરીને જોડવાની ક્વાયત શરૂ કરી છે.
આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્રની વિવિધ ચેમ્બરો અને તેની સાથે સંકળાયેલા સંગઠનો ઉપરાંત ગુજરાત ચેમ્બરને પણ સાથે રાખીને એક બેઠકનું આયોજન કરી રહ્યા છીએ. બધાને સંઘર્ષ સમિતિ હેઠળ જોડીશું અને અસહકાર જેવું આંદોલન ચલાવીશું. આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યોને પણ હાજર રાખીને પ્રશ્નોથી વાકેફ કરવામાં આવશે.
સંઘર્ષ સમિતિના સભ્યોએ કહ્યું હતુ કે, એક્સાઇઝેબલ અને સર્વિસ ટેક્સ હેઠળ ન હતા તેવા યુનિટો પર પણ વધારાની જવાબદારી આવી ગઇ છે. દર મહિને ત્રણ ત્રણ રિટર્ન ભરવાનું કામ હાલના સોફ્ટવેરમાં અતિ મુશ્કેલ છે. ટેકનીકલ સમસ્યાને લીધે વેપારીઓનો સમય ધંધાને બદલે સરકારને ટેક્સ-રિટર્ન ભરવામાં વેડફાય છે. એ જોતા સરકારે વેટ જેવી સિસ્ટમ અપનાવવાની જરુર હતી.
જીએસટી પોર્ટલમાં આવતી મુશ્કેલીઓ
છેલ્લાં બે માસથી વેપારીઓ જીએસટી પોર્ટલ અને તેમાં રહેલી ટેકનીકલ ખામીઓ સામે ઝઝૂમી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા જીએસટી પોર્ટલ નહીં ખૂલવાની છે. પોર્ટલ ખૂલી જાય તો એન્ટ્રી કરવા માટે 30 મિનીટથી 24-48 કલાક સુધી રાહ જોવી પડે છે. સર્વર અવારનવાર ડાઉન થઇ જાય છે એટલે ફોર્મ ભરાઇ શકતા નથી. ભરેલી વિગતો કન્ફર્મ કરવા જતા પહેલા ફોર્મ સબમીટ થઇ જવું ઉપરાંત ઓટીપી જનરેટ ન થવાની સમસ્યા પાયામાં છે.