મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ભાજપને સત્તા પરથી દુર કરવા માટે કોંગ્રેસ વિરોધ પક્ષોનું મજબુત ગઠબંધન તૈયાર કરવા માંગે છે એમ જણાવતા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું છે કે, વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ રાહુલ ગાંધીના નામની જાહેરાત કરશે નહિ.પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી બધા સાથી સાથે મળીને કરશે.
દેશના પૂર્વ વડાપ્રધાન પી. ચિદમ્બરમે વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સ્વીકાર કરતા કહ્યું કે, છેલ્લા બે દશકાઓમાં રાષ્ટ્રીય પાર્ટીઓની વોટ બેંક તોડીને સ્થાનિક રાજકીય પાર્ટીઓએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોનો સંયુક્ત વોટ શેર ૫૦ ટકાથી પણ ઓછો છે. જો કે આગામી લોકસભાની ચુંટણી માટે પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ સાથે હાથ મિલાવવાથી રોકવા માટે ભાજપ સરકાર ભયનો માહોલ પેદા કરવાની કોશિષ કરી રહી છે.
તેમણે કહ્યું કે, લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે નહી. પરંતુ કોંગ્રેસ ઘણાં સમયથી સ્થાનિક પક્ષો સાથે ગઠબંધનની કોશિશ કરી રહ્યા છે. જેથી આગામી લોકસભાની ચુંટણીમાં એક મજબૂત વિપક્ષ તરીકે ભાજપને પડકાર આપી શકાય.તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા માંગે છે. પરંતુ સ્થાનિક પક્ષોના અત્યારે અલગ-અલગ મંતવ્ય છે.
ભાજપને સત્તામાંથી બહાર કરી એક મજબૂત સંગઠન ધ્વારા અમે વૈકલ્પિક સરકાર બનાવવા ઈચ્છીએ છીએ એમ જણાવતા પી.ચિદમ્બરમે કહ્યું કે, આ સરકાર પ્રોગ્રેસિવ હોય, વ્યક્તિની આઝાદીનું સન્માન કરે, ટેક્સ ટેરરિઝમને પ્રોત્સાહન ના આપે, મહિલાઓ અને બાળકોને સુરક્ષા આપે અને ખેડૂતોની સ્થિતિને સુધારે તેવી રચના કરવામાં આવશે.