મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કેરળના કોઝીકોડમાં ફેલાયેલા ચેપી નિપાહ વાયરસને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે કેરળ અને દક્ષિણ ભારતથી આવતા તમામ મુસાફરોનું એરપોર્ટ સહિતના સ્ટેશનો પર સ્થળ પર જ હેલ્થ ચેકઅપ કરવામાં આવે અને જો કોઈને નિપાહના લક્ષણ દેખાય તો તાત્કાલીક સારવાર આપવામાં આવે.

રાજ્ય સરકારે આદેશ કર્યો છે કે નિપાહ વાયરસને લઈને કેરળ  અને દક્ષિણ ભારતથી ગુજરાત આવતા તમામ મુસાફરોનું મેડિકલ સ્કેનીંગ કરવામાં આવશે. આ માટે રાજ્યભરમાં એરપોર્ટ અને મોટા રેલવે અને બસ સ્ટેશનો ઉપર મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવશે. આવા મુસાફરોમાં જો કોઈને નિપાહના લક્ષણ દેખાશે તો તાત્કાલિક અપાશે સારવાર.

અત્રે ઉલ્લેખનીય છે કે કેરળના કોઝીકોડ જિલ્લામાં ચામાચીડિયાથી ફેલાતા રહસ્યમય અને ખૂબ જ ઘાતક નિપાહ વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 6 લોકોની સ્થિતિ ગંભીર છે. આ ખતરનાક વાયરસથી પીડિત 25 દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ વાયરસથી જોડાયેલ વધુ માહિતી હાંસલ કરવા માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય વિભાગે પણ પ્રભાવિત જિલ્લામાં એક ટીમ મોકલવામાં આવી છે.

રોગના લક્ષણ: નિપાહ વાયરસને NiV ઇન્ફેક્શન પણ કહેવામાં આવે છે. આ બીમારાના લક્ષણની વાત કરીએ તો શ્વાસ લેવામાં તકલીફ, તાવ, માથુ દુખવુ, બળતરા, ચક્કર આવવા, બેભાન થવુ વગેરે. આ ચેપથી પીડિત દર્દીને જો તાત્કાલિક સારવાર ન મળે તો 48 કલાકમાં દર્દી કોમામાં જઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી કોઈ દવા વિકસિત કરવામાં નથી આવી અને આ વાયરસથી પીડિત દર્દીઓને આઇસીયુમા રાખી જ ઇલાજ કરી શકાય છે.

ડોક્ટર્સનું માનીએ તો આ વાયરસનો ચેપ એક ખાસ પ્રકારનું ચામાચીડિયું જેને ફ્રૂટ બેટ કહેવામાં આવે તેનાથી એંઠા ફળ કે ફળના રસનું સેવન કરવાથી થાય છે કે જે નિપાહ વાયરસનું મુખ્ય વાહક છે. આ વાયરસ સૂવરથી પણ ફેલાય છે. આ સિવાય આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગે છે. આ ચેપથી બચવા માટે ખાસ તો પક્ષીઓ કે પશુથી એંઠા થયેલા ફળ ખાવા ન જોઈએ.

આ વાયરસ પ્રથમ વખત 1998માં મલેશિયાના સુંગઇ નિપાહ ગામમાં ફેલાયો હતો જેના પરથી આ વાયરસનુ નામ પડ્યું છે. મલેશિયામાં આ બીમારી આ વાયરસથી પીડિત સૂવરોના કારણે ખેડૂતોમાં ફેલાઇ હતી. જ્યારે ભારતમાં વર્ષ 2001 અને 2007માં પ્રથમ વખત પશ્ચિમ બંગાળમાં આ વાયરસ ફેલાયો હતો જેમાં 71 દર્દીઓમાંથી 50નાં મોત થયા હતા.