મેરાન્યૂઝ નેટવર્ક મોરબી: જમ્મુથી શ્રીનગર તરફ જતા સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલામાં ૪o જવાન શહીદ થયા... આ ઘટના બાદ દેશભરનાં લોકોમાં ફાટી નીકળેલો રોષ આગની જેમ ભભૂકી રહયો છે. તો બીજી તરફ શહીદોનાં પરીવારમાં આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. ત્યારે આ શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી સીરામીક એસોસિએશન, ઓરપેટ ગ્રુપ, કોલ એસોસિએશન, સેલ ફાયનાન્સ સ્કૂલો, સ્ટ્રેપ એસોસીએશન, અલગ અલગ સંસ્થા દ્વારા અઢી કરોડથી વધુનો ફાળો એકત્ર કરી સેવાની જ્યોતથી વંદનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા બાદ તેઓને હૂંફ સાથે જીવનનિર્વાહમાં સરળતા કરી આપવા અનેક સંસ્થાઓ અને આગેવાનોએ સેવાનો ભેખ ધારણ કર્યો છે. જેમાં ઉદાહરણરૂપ પહેલ કરતાં મોરબી સીરામીક એસોસિએશનના તરફથી ૧.૬૫ કરોડ, ઓરપેટ ગ્રુપ તરફથી ૪૪ લાખ, કોલ એસોસીએશન તરફથી ૧૯.૭૫ લાખ, સેલ ફાયનાન્સ સ્કૂલો, સ્ટ્રેપ એસોસીએશન, લીલાપર, શનાળા, મહેન્દ્રનગર જેવા ગામો અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કુલ ૨.૫૦ કરોડથી પણ વધુનું દાન એકત્ર કર્યું છે. જેમાં હજુ પણ દાનની સરવાણી ચાલુ જ છે. આ ફાળો રૂપિયા ૩ કરોડને પાર જાય તેવી શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રમાં શહીદ જવાનો માટે આ સૌથી વધુ દાનની સરવાણી છે. તે અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, મોરબીના ૨૦થી વધુ એસોસીએશન તથા અન્ય સામાજિક સંસ્થાઓ પણ પોતાના દ્વારા એકઠાં થયેલો ફાળા સાથે જોડશે. અમે આગામી દિવસોમાં સમગ્ર મોરબી તરફથી એક કાર્યક્રમનું આયોજન કરવા માટે વિચારી રહ્યા છીએ. જેમાં પુલવામાના તમામ શહીદ પરીવારોને મોરબી બોલાવીને તેમનું સન્માન કરવામાં સાથે એકત્ર કરાયેલી રોકડ સહાય તેમના જ હાથોમાં આપવામાં આવશે.