મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ભાજપના કોઈ મોટા કદના નેતા આવવાના હોય તો ત્રણ દિવસ પહેલા મોડાસાના તમામ રાજ્યમાર્ગો પર સફાઈ અભિયાન હાથધરી સ્વચ્છ છબી મોડાસાની ઉપસાવવા અથાગ પ્રયત્નો વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર કરતુ હોય છે. સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં રાજ્ય મંત્રી કે પ્રભારી મંત્રી જે સ્થળે કાર્યક્રમ હોય તે સ્થળ પહેલાથી સાફસૂથરું કરી સ્વચ્છતા અભિયાનનું નાટક છેલ્લા કેટલાક વર્ષોથી મોડાસા શહેરમાં ભજવાઈ રહ્યું છે. ગાંધી જ્યંતીના દિવસે પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું તે સ્થળે ગંદકીના ઢગ ખડકાતા અને અસહ્ય દુર્ગંધથી કુંભારવાડા અને સગરવાડા વિસ્તારના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

મોડાસાના કુંભારવાડા તેમજ સગરવાડા વિસ્તારમાં ગંદકીએ જાણે ઘર કર્યું હોય તેવા દ્રશ્યો ઠેરઠેર જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં આજથી આઠ મહિના પહેલા એટલે કે, બીજી ઓક્ટોબર ગાંધી જ્યંતિના દિવસે તંત્ર દ્વારા સગરવાડા વિસ્તારમાં સાફ-સફાઈ કરીને ગંદકી દૂર કરી હતી. તે સ્થળ અને વિસ્તારમાં ગંદકીનો ખડકલો થતા સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડી રહ્યા છે.

સ્થાનિક લોકના જણાવ્યા અનુસાર નગરપાલિકા તંત્ર દ્વારા સાફ-સફાઈ તો કરવામાં આવે છે પણ જેસીબી દ્વારા બીજેથી કચરો લાવીને આ જગ્યાએ ઠાલવી દેતા હોવાથી ગંદકી ઓછી થવાને બદલે વધે છે. અસહ્ય ગંદકીના પગલે આજુબાજુ વિસ્તારના રહીશો બીમારીમાં એકલ-દોકલ પટકાઈ રહ્યા છે. આ વિસ્તારમાં ખડક્યેલા ઢગ સત્વરે દૂર નહીં થાય તો રોગચાળો ફાટવાની દહેશત વ્યક્ત કરી હતી અને સ્થાનિક લોકોએ આ વિસ્તારમાંથી ગંદકીના ઢગ દૂર કરવામાં આવેની માંગ કરી હતી સાથે જ ગટરો પણ ઉભરાતા પાણીજન્ય રોગચાળામાં રહીશો પટકાઈ રહ્યા છે.