મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ શંકાથી કંકાશ સર્જાય છે અને કંકાશથી કત્લેઆમ થઇ જતા વાર નથી લાગતી મેઘરજના ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમાડ ગામમાં હૈયા ધ્રુજાવી નાખે તેવી ઘટના બની છે. શંકાશીલ સ્વભાવ ધરાવતા વ્હેમીલા હેવાન પતિએ તેની પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી તેના ત્રણ  બાળકોને ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ફેંકી દઈ હત્યા કરી દેતા રમાડ ગામમાં ખેલાયેલા ખૂની ખેલમાં બનેલી કાળજું કંપાવી દેનાર ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચ્યો છે. ઇસરી પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોની લાશને પીએમ માટે ખસેડી હત્યારા પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહીતી અનુસાર,મેઘરજના વૈડી ડેમમાંથી શનિવારે સાંજે ત્રણ બાળકો પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવતા ભારે ભારે ચકચાર મચી હતી ઇસરી પીઆઈ વી.વી.પટેલ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી બાળકોના વાલી વારસોની શોધખોળ હાથધરતા ચોંકવનારી હકીકતનો પર્દાફાશ થતા પોલીસ ચોંકી ઉઠી હતી શંકાશીલ સ્વભાવ ધરાવતા પિતાએ ત્રણે બાળકોને ડેમમાં નાખી હત્યા કરી ફરાર થઇ જતા ભારે રહસ્ય સર્જાયું છે ત્રણે બાળકોની હત્યા કરતા પહેલા હત્યારા યુવકે તેની પત્નીને કુહાડીના જીવલેણ ઘા ઝીંકતા પત્ની પણ હિંમતનગર દવાખાનમાં સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

Advertisement


 

 

 

 

 

મેઘરજના રમાડ ગામમાં રહેતા જીવાભાઈ કચરાભાઈ ડેંડુણનો શંકાશીલ સ્વભાવ હોવાના પગલે તેની પત્ની જીવીબેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો.વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જીવાના મગજમાં ફરીથી વહેમનો કીડો સળવળાટ કરતા પત્ની સાથે ઝગડો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દેતા મહિલા તરફડીયા મારી રહી હતી ત્યારે એટલેથી ન અટકતા મગજમાં ઝનૂન સવાર થતા ઘરમાં રહેલા ત્રણ બાળકોને લઇ નીકળી ગયો હતો. ગામ નજીક આવેલા વૈડી ડેમમાં પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી ફરાર થઇ ગયો હતો. પરિવારજનો અને પિયરપક્ષના લોકો ઘટનાસ્થળે પહોંચી ત્રણે બાળકોના મૃતદેહ જોઈ ભાંગી પડ્યા હતા અને રોકોકકળ કરી મૂકી હતી. ઇસરી પોલીસે ત્રણે મૃતક બાળકોના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઇસરી પોલીસે કલજીભાઈ  જીવાભાઈ ડામોરની (રહે,મોટી પંડુલી) ફરિયાદના આધારે હત્યારા પતિ જીવા કચરા ડેંડુણ વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨, ૩૦૭ અને જીપી એક્ટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.