મેરાન્યૂઝ નેટવર્ક, કચ્છ: ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ગત મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સામખિયાળી પાસે ચાલુ ટ્રેનમાં અજાણ્યા શખ્શોએ જયંતિ ભાનુંશાળીને બે ગોળી મારી તેમની હત્યા કરી દીધી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભાજપના નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ પણ રહી ચુકેલા જયંતિ ભાનુશાલી કચ્છથી મુંબઇ જઇ રહ્યા હતાં. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. દરમિયાન કેટલાક અજાણ્યા શખ્શો ટ્રેનમાં સવાર થયા હતા અને કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે તેમની આંખમાં અને છાતીમાં ગોળીઓ મારી હતી. જેને પગલે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે એફએસલની પણ મદદ લેવામાં આવી રહી છે. હાલ તેમની લાશને માળીયા મિયાના રેલવે પોલીસ પાસેથી પોસ્ટમોર્ટમમાં ખસેડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીના કથિત સેક્સ કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું આ મામલે તેમની સીડી બહાર આવતા ચકચાર મચી હતી. સુરતની એક યુવતીએ જયંતિ ભાનુશાલી સામે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. આ મામલે સુરત ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે. તેમની હત્યાના સમાચારથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.