મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કાર્યરત કરાયેલા મીડિયા મોનીટરિંગ સેલમાં ફરજ બજાવતા હિંમતનગરના શિક્ષકે પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક બજાવવા એવું કર્યું કે સહુને તેમના પર ગર્વ થાય અને ફરજ પર નિષ્ઠાથી કામ કરવાની પ્રેરણા મળે તેમ છે.
આ ફરજ બજાવતા શિક્ષકનું નામ પોપટભાઈ પટેલ છે અને તેઓ હિંમતનગરના મીડિયા મોનિટરિંગ સેલમાં કામ કરે છે. ચૂંટણી દરમિયાન જાહેર થતાં સમાચારો પર તેમને નજર રાખવાનું કામ છે. સતત મીડિયા કવરેજ પર નજર રાખવા માટે તેઓની કામગીરીમાં સમયની પણ મારામારી જેવો ઘાટ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં પેઈડ ન્યૂઝ તથા અન્ય સમાચારોના મોનીટરિંગ માટે સાબરકાંઠા માહિતી કચેરીમાં મીડિયા સેન્ટર કાર્યરત કરાયું છે. આ મીડિયા સેન્ટરમાં ૨૧ જેટલા શિક્ષકોને “રાઉન્ડ ધ ક્લોક” ફરજ સોંપાઈ છે. ત્રણ શીફ્ટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે. અહીં ફરજ બજાવતા પોપટભાઈ પટેલ શિક્ષક તરીકે પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના માતા શાંતાબેનનું તાજેતરમાં અવસાન થયું. આ દુઃખદ ઘટનાથી ભાંગી પડેલા શિક્ષક પોપટભાઈ પટેલે તંત્રને જાણ કરી તરત જ પોતાના વતન પ્રાંતિજ તાલુકાના અંબાવાડા જવા ઉપડ્યા...
મનમાં માતાના અવસાનનો ઘેરો શોક હતો. સાથે સાથે મનમાં માતા સાથેના સંસ્મરણોનું ઘોડાપુર હતું. પોપટભાઈ પટેલ પોતાના ગામ પહોંચ્યા અને પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર સંપન્ન થયા. માતા સ્વ. શાંતાબેનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો અને પોપટભાઈ પટેલના તન-મન પર સવાર એવી ચૂંટણી પ્રત્યેની ફરજ યાદ આવી, પરિવારજનોને મળ્યા ના મળ્યા અને તરત જ પોતાની મીડિયા મોનીટરિંગની ફરજ પર હાજર થઈ ગયા. તેમને પરત આવેલા જોઈને સાથી કર્મચારી એવા શિક્ષકો પણ મુંઝવણમાં પડી ગયા. એક તરફ પોપટભાઈ પટેલ પર આવી પડેલા દુઃખ પ્રત્યે સંવેદના હતી તો બીજી તરફ ચૂંટણી ફરજ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા પર ગૌરવ પણ હતું. પોપટભાઈ પટેલ તો આવીને માતા સાથેના સંસ્મરણો વાગેળતા વાગોળતા તેમને અગાઉથી સોંપવામાં આવેલી ન્યૂઝ ચેનલ સામે ગોઠવાઈ ગયા અને શરુ થઈ પાછી કર્મની સફર..
પોપટભાઈ પટેલ કહે છે કે, “ મા, તો કોને વ્હાલી ના હોય... મેં પણ માતાની આંગળી પકડીને જીવનની અનેક ડગલીઓ માંડી છે, તડકી-છાયડીઓ જોઈ છે, માતાના અવસાન પછી મારા પરિવારજનોને પણ મારી જરૂર હતી. મારા ભાઈઓ- ઈચ્છતા હતા કે હું તેમની સાથે રહું, થોડો સમય વિતાવું તો દુઃખ વહેંચાય પણ મેં વિચાર્યું હતું કે મેં મારી માતાને અગ્નિ સંસ્કારનો મારો અધિકાર ભોગવ્યો, પણ હવે સમય હતો મારી ફરજ અદા કરવાનો અને એટલે જ હું તરત જ મારી ફરજ પર હાજર થઈ ગયો”
એક તરફ કેટલાક લોકો પોતાની નાની નાની શારીરિક બીમારીઓને આગળ કરી ચૂંટણી ફરજમાંથી મૂક્તિ લેવા જુદાજુદા હથકંડા અપનાવતા હોય છે. ક્યાંક બીમારી, કયાંક સામાજિક કામોની આળ લઈને પણ ચૂંટણી ફરજમાંથી છૂટવા ફાંફા મારતા હોય છે ત્યારે પોપટભાઈ પટેલ માતાના મૃત્યુ પછી તરત જ ફરજ પર હાજર થયા આ એક અનુકરણીય કિસ્સો છે.