મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સાબરમતી જેલમાં 2005થી હત્યા કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા ભરત વાલેચાએ ભાવનગરના સંતકવરામ ચોકમાં રાતને બે વાગી દિનેશ રામચંદાણી નામના યુવકને ગોળી મારી દેતા તે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભરત વાલેચાઆ 2005માં  રેસ્ટોરન્ટના માલિક કૈલાશ સિંધીની હત્યા કરી હતી. જેના કારણે તેને આજીવન સજા થતા તે સાબરમતી જેલમાં હતો અને થોડા દિવસ પહેલા જ પેરોલ ઉપર છૂટયો હતો.

પેરોલ ઉપર છૂટેલો ભરત વાલેચા અને  રવિ વાલેચા સંત કંવરામ ચોકમાં ઊભા હતા ત્યારે પોતાની ત્રણ મહિનાની દીકરી બીમાર હોવાને કારણે  તેની દવા લેવા નીકળેલો યુવાન દિનેશ રામચંદાણી સામ-સામે આવી ગયા હતા, ભરત અને દિનેશને જુની અદાવત હતી. જેના કારણે પહેલા ભરત અને દિનેશ વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને એકદમ ઉશ્કેરાઈ ગયેલા ભરતે પોતની પાસે રહેલી રિવોલ્વર કાઢી હવામાં ગોળીબાર કર્યો હતો. આ ઘટનાથી ડરી ગયેલો દિનેશે ભાગી છૂટવા માગતો હતો.

જોકે ભરતની સાથે રહેલા રવિએ દિનેશને પકડી લીધો હતો, ત્યાર બાદ ભરતે એકદમ નજીકથી દિનેશના પેટમાં ગોળી મારી દિધી હતી. આ ઘટના બાદ ભરત અને રવિ ભાગી છૂટયા હતા. ગોળીબારનો અવાજ સાંભળી દોડી આવેલા લોકો દિનેશને લોહીલુહાણ હાલતમાં જોતા તરત તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું ડૉકટરોનું કહેવુ છે. આ ઘટના બાદ ભાવનગર પોલીસ દોડી આવી હતી, પેરોલ ઉપર છૂટેલા ભરત વાલેચાની પેરોલ તા 18મી ઓગષ્ટના જ પુરી થઈ ગઈ હતી, પણ જેલમાં હાજર થયો ન્હોતો.