મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સુરત ADG જ્ઞાનેન્દ્રિસંહ મલિકે દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત એવો પ્રયોગ કર્યો હતો કે છેલ્લાં બે વર્ષમાં જેટલા લોકો ગુમ થયા છે તેના અને જેટલી પણ વણઓળખાયેલી લાશ મળી છે તેના ફોટા મેચ કરી ગુમ થનારી વ્યક્તિના પરિવાર સુધી પહોંચી  તેની ઓળખ કરવી. આ પ્રયોગને સફળતા સાંપડી છે અને કુલ 12 લાશની ઓળખ થઈ છે.
સુરતના પાંચ જિલ્લા સુરત ગ્રામ્ય, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાંથી છેલ્લાં બે વર્ષમાં ગુમ થયેલા લોકોને શોધી કાઢવા તેમજ આ પાંચેય જિલ્લામાંથી અજાણી લાશ મળી હોય તેની વિગતો મેળવી ગુમ થયેલી વ્યક્તિના પરિવારજનોનો સંપર્ક કરવાનું કામ સોંપ્યું હતું. આ પાંચેય ટીમોએ બે અઠવાડિયામાં 12 વણ ઓળખાયેલી લાશ ગુમ થયેલી વ્યક્તિના પરિવારજનોને બતાવી તો પરિવારજનોએ પોતાના જ સ્વજનની આ લાશ હોવાનું માન્યું છે. 21 લાશ હજુ એવી છે જેમાં પોલીસની દૃષ્ટિએ ગુમ થનારી વ્યક્તિની જ છે પણ પરિવારજનો હજુ માનતા નથી. તો 68 વ્યક્તિ ગુમ થયા બાદ શોધાઈ ગયા હતા પણ તેની નોંધ ન હોવાનું સ્પષ્ટ થયું છે.

ADG જ્ઞાનેન્દ્રસિંહ મલિક (એડિશનલ ડીજીપી)એ પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે પાંચ જિલ્લમાંથી 2016ના વર્ષણાં કુલ 192 અને 2017ના વર્ષમાં 206 મળી કુલ 398 લોકો ગુમ થયા હતા. તેની સામે 2016ના વર્ષમાં 306 અને 2017ના વર્ષમાં 240 મળી કુલ 546 એવી લાશ મળી હતી જેની ઓળખ જ થઈ ન હતી. આ લાશ અને ગુમ થનારી વ્યક્તિને મેચ કરવાની કામગીરી ડાંગના એએસપી અજિત રાજિયાણના માર્ગદર્શન તળે પાંચ પીએસઆઈની ટીમ એક ટીમમાં ચાર કોન્સ્ટેબલ આ રીતે 25 કર્મચારીને કામે લગાડ્યા હતા.

બે અઠવાડિયાના સમયગાળમાં આ પાંચેય ટીમોએ 12 વ્યક્તિના પરિવારજનો શોધી કાઢ્યા હતા. લાશની તસવીર જોઇ પરિવારજનોએ સ્વીકાર્યું પણ ખરું કે આ તેમના જ પરિવારનું સ્વજન હતું. જેથી 12 લાશની ઓળખ કરવામાં આ ટીમોને સફળતા મળી છે. તો 21 લાશ એવી છે જે પોલીસની દૃષ્ટિએ ગુમ થનારી વ્યક્તિની જ છે પણ યુવાનોની લાશ હોવાથી તેના પરિવારજનો સ્વીકારવા તૈયાર નથી. આ કામગીરી દરમિયાન એવી હકીકત પણ સપાટી પર આવી છે કે 68 વ્યક્તિ ગુમ થયા બાદ પરત પોતાના ઘરે ફરી છે પણ તેની જાણ પોલીસને કરી ન હતી. 

એકાદ બે કિસ્સમાં મહિલાએ કહ્યું પોલીસ અમને શા માટે વિધવા બનાવે છે?

આ સમગ્ર તપાસનું સુપરવિઝન કરી રહેલા ડાંગના એએસપી અજિત રાજિયાણે કહ્યું હતું કે 21 કિસ્સામાં પોલીસ માને છે ગુમ થયેલી વ્યક્તિની જ લાશ છે પણ પરિવારજનો માનતા નથી. તેમાંથી એકાદ બે કિસ્સામાં એવું બન્યું કે મરનારી વ્યક્તિનો પુત્રમાની ગયો છે પણ તેની પત્ની (એટલે કે પુત્રની માતા) માનતી નથી. એટલું જ નહીં પોલીસને એવું કહે છે કે પોલીસ અમને શા માટે વિધવા બનાવવા માગે છે?

રૂ. 1,000 અને 500 ઇનામ જાહેર કરાયું હતું

જે ટીમ એક લાશની ઓળખ કરી તેના પરિવારજનોની સંમતિ સુધીની પ્રક્રિયા પૂર્ણ કરે ત્યારે તે ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને રૂ. 1,000 અને કોન્સ્ટેબલને રૂ. 500 ઇનામ આપવાનું ADGએ નક્કી કર્યું હતું. 

હવે 2010થી અત્યાર સુધીની કામગીરી કરાશે

2016 અને 2017ના વર્ષની આ માહિતીના આધારે સુરતમાં જે કામગીરી કરવામાં આવી તેને ધ્યાને લઈ હવે પછી 2010થી અત્યાર સુધીના તમામ ગુમ થયેલાના અને અજાણી વ્યક્તિની લાશ મળી હોવાના કિસ્સા લઈ આ જ રીતે તપાસ કરવાનો આદેશ ADGએ આપ્યો હોવોનું જાણવા મળ્યું છે.