મેરાન્યૂઝ નેટવર્ક.ગોવાઃ લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું રવિવારે સાંજે નિધન થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી પરંતુ સાંજે મુખ્યમંત્રીની તબીયત નાજુક હોવાની પૃષ્ટી કરાઈ હતી. 63 વર્ષે તેમનું પેનક્રિયાનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થયું હતું.

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું છે. તેમણે લખ્યું હતું કે જેમણે સતત સેવા કરી તેવા વ્યક્તિના નિધનથી દુઃખ અનુભવું છું.

ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મનોહર પારિકરને પેન્ક્રિયાના કેન્સરની બિમારીનું નિદાન થયું હતું. ત્યારબાદ તેમને ગોવા, મુંબઈ, ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં સારવાર આપવામાં આવી હતી.

ગોવામાં ગઈકાલે ભાજપના ધારાસભ્યની એક મીટિંગ મળી હતી ત્યારબાદ ચર્ચા હતી કે ગોવામાં ભાજપ કોંગ્રેસના નેતા દિગમ્બર કામતને ભાજપમાં ભેળવી અને તેમને મુખ્યમંત્રી બનાવી શકે છે. પણજીમાં મળેલી ધારાસભ્યોની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. રાજ્યસભાના સાંસદ અને રાજ્યના ભાજપ પ્રમુખ વિનય તેંડુલકરે જણાવ્યું હતું અમે રાજકીય સ્થિતિની ચર્ચા કરી છે જોકે, હજુ સુધી નેતૃત્વ પરિવર્તનનો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી.