મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં આઈટી ડેવલોપમેન્ટ માટે નોડેલ એજન્સી તરીકે નિમાયેલી ગુજરાત ઇન્ફોર્મેટિક લીમીટેડ (જીઆઈએલ) દ્ધારા આઉટસોર્સથી કર્મચારીઓની નિમણુંકો કરવાની હોતી નથી. આમ છતાં જીઆઇએલ દ્ધ્રારા કરવામાં આવતી આવી નિમણુંકો અંગે તાંત્રિક અને વહીવટી તપાસ કરાવવા કોંગ્રેસ દ્ધારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આઉટસોર્સથી ભરતી કરાતા કર્મીઓની આર્થિક શોષણ બંધ કરી તેમનું વેતન વધારવા માંગણી કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે લખેલા આ પત્રમાં જણાવ્યું છે કે, આઉટસોર્સથી લેવામાં આવતા સ્ટેનો, ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર, કમ્પ્યુટર ઓપરેટર, પટાવાળા વગેરેને લાયકાત અને અનુભવ ધ્યાનમાં લીધા સિવાય માત્ર રૂપિયા ૭૮૫૩થી ૧૪૧૫૪ જેટલું ઓછું માસિક વેતન ચૂકવવામાં આવે છે. વર્તમાન મોંઘવારીમાં આટલાં ઓછાં વેતનથી અમાનવીય આર્થિક શોષણ કરવામાં આવતું હોવાથી તેમાં વધારો કરવો જોઈએ. આ સાથે નવેસરથી એકસમાન વેતનના દરની જાહેરાત કરવી જોઈએ. આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, કેટલીક એજન્સીઓ દ્ધારા આ નિયત વેતનમાંથી પણ કર્મચારીઓ પાસેથી અમુક રકમ કાપી નાંખી શોષણ અને અન્યાય કરવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીનગરની પગાર અને હિસાબી અધિકારીની કચેરીમાં કેટલાક અધિકારીઓ માત્ર જીઆઈએલ માન્ય એજન્સીઓ દ્ધારા જ નીમાયેલા આઉટસોર્સના કર્મીઓને વેતન ચુકવવાની મંજુરી આપે છે. જયારે શ્રમ અને રોજગાર વિભાગ દ્ધ્રારા માન્ય એજન્સીઓના કર્મચારીઓનાં વેતન બીલ મંજુર કરવાનો ઇનકાર કરવામાં આવે છે. આ ઉપરાંત નર્મદા અને અન્ય વિભાગોમાં જીઆઈએલની માન્યતા  સિવાયની એજન્સીઓના કર્મચારીઓની સેવાઓ પણ લેવામાં આવે છે.