મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ લોકસભાની ગુજરાતની 26 બેઠકો ઉપર કોણ ચૂંટણી લડશે તેવી સંભવીત યાદી તૈયારી થઈ ચુકી છે. જો કે તેમાં 25 બેઠકો માટે સંભવીત ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર બેઠક ઉપર કોણ ચૂંટણી લડશે તેનો નિર્ણય કેન્દ્રીય નેતાગીરી ઉપર સોંપવામાં આવ્યો છે. સુત્રોની જાણકારી પ્રમાણે ગાંધીનગર બેઠક ઉપરથી હવે લાલકુષ્ણ અડવાણી ચૂંટણી  નહીં લડે પણ તેમના સ્થાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવામાં આવશે. જો કે ગાંધીનગરની બેઠક ઉપર લાલકૃષ્ણ અડવાણીની દીકરી તેમજ આનંદીબહેન પટેલની દીકરીના નામની અટકળો પણ થઈ રહી છે. પરંતુ આ તમામ નામો ઉપર ચોકડી મારી ખુદ અમિત શાહ જ લોકસભાના મેદાનમાં આવે તેવા અણસાર મળી રહ્યા છે.

લાલકૃષ્ણ અડવાણીએ 2014માં નરેન્દ્ર મોદીને દિલ્હી તરફ કુચ કરતા અટકાવવા માટે જે કઈ પ્રયાસો કર્યા તેનાથી નરેન્દ્ર મોદી સારી રીતે વાકેફ છે અને નરેન્દ્ર મોદીના શબ્દકોષમાં માફી નામનો શબ્દ જ નથી. 2014માં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે પ્રકારે લાલકૃષ્ણ અડવાણી અને તેમના જુથને હાંસિયામાં ધકેલી દીધું તેનાથી સમગ્ર પાર્ટી વાકેફ છે.

આ પ્રકારના સંબંધોને ધ્યાનમાં લેતા લાલકૃષ્ણ અડવાણીને ગાંધીનગર લોકસભા ટિકિટ મળવાના કોઈ આશાર નથી, જેના કારણે ગાંધીનગર બેઠક ઉપર ટિકિટ મેળવવાની ઈચ્છા ભાજપના ઘણા સિનિયર નેતાઓને છે, પરંતુ અમિત શાહના નામની ચર્ચા નિકળતા હવે કોઈ જાહેરમાં ગાંધીનગર બેઠકનો ઉલ્લેખ પણ કરતા નથી.

સુત્રોની જાણકારી પ્રમાણે અમિત શાહ ખુદ ગાંધીનગર બેઠક ઉપર ચૂંટણી લડે તેવી પુરી શકયતા છે. આ શકયતા પાછળનો તર્ક એવો છે કે ચૂંટણી લડવા માટે જે તે ઉમેદવાર ત્યાંનો મતદાર હોવો જરૂરી છે. અને તાજેતરમાં અમિત શાહ દ્વારા તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારનાં ઉમેદવાર છે તેવુ પ્રમાણપત્ર કલેકટર ઓફિસમાંથી મેળવ્યુ હતું, જો અમિત શાહ લોકસભા લડવાના ના હોત તો હાલમાં તેમણે આ પ્રમાણપત્ર લેવાની જરૂરીયાત ઉભી થતી નહીં, આ ઉપરાંત ગુજરાતમાં ભાજપે કોંગ્રેસમાં ઘણી તોડફોડ કરી છે. છતાં 26 બેઠકો જાળવી રાખવી મુશ્કેલ છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં ગાબડુ પડે તે મંજુર નથી, પણ જો અમિત શાહ ગાંધીનગરમાંથી ચૂંટણી લડતા હોય તો માહોલ બદલાઈ શકે છે, જેના કારણે અમિત શાહ ચૂંટણી લડે તેવી પુરી સંભાવના છે.